ગુજરાતના સૌથી ઊંચા 70 ફૂટના રાવણનું દહન

નવરાત્રિ પર્વની પુર્ણાહુતી સાથે ગુરુવારે સમગ્ર ગુજરાતમાં અસત્ય પર સત્યના વિજય પર્વ સમા દશેરાએ રાવણ દહન સાથે ભવ્ય આતશબાજી અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિત વિવિધ શહેરોમાં રાવણ દહનની તૈયારીઓ કરી દેવામાં આવી હતી. ત્યારે આ વર્ષે સુરતમાં ગુજરાતના સૌથી ઊંચા 70 ફૂટના રાવણનું દહન કરવામાં આવ્યું હતું. જ્યારે રાજકોટમાં સૌરાષ્ટ્રના સૌથી ઊંચા 54 ફૂટના રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. આ સાથે મેઘનાથ અને કુંભકર્ણના 45-45 ફૂટના પૂતળાનું પણ દહન કરવામાં આવ્યું હતું. ઉતરપ્રદેશના ખાસ કારીગરો દ્વારા ઇમારતી લાકડું ગણાતા વાંસની મદદથી પૂતળા બનાવવામાં આવ્યા છે. તો બીજી તરફ વડોદરામાં રાવણ દહનમાં વરસાદ વિઘ્ન બનતા આજે કાર્યક્રમમાં મોકૂફ રાખી આવતીકાલે રાખવામાં આવ્યો છે.
જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે આતાશબાજી સાથે રાવણ, કુંભકર્ણ અને મેઘનાથના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ જોવા માટે મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડ્યા હતા. પ્રદર્શન મેદાનમાં મેઘનાદ અને કુંભકર્ણના 30-30 ફૂટ ઊંચા અને રાવણનું 35 ફૂટ ઊંચું પુતળું બનાવવામાં આવ્યું હતું. નાનકપુરી ખાતેથી વિવિધ પાત્રો સાથે આબેહૂબ વેશભૂષામાં રામસવારી નીકળી હતી. આ રામસવારી શહેરના મુખ્યમાર્ગો જેવા કે પવનચક્કી, હવાઈ ચોક, બર્ધનચોક, સજુબા શાળા, બેડી ગેટ, લીમડા લાઈન અને જિલ્લા પંચાયત થઈને પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે પહોંચી હતી.